સરકારી શાળામાં ભણતા એક વિદ્યાર્થીનો ભગવાનને પત્ર :
August 10, 2025•439 words
પ્રિય મિત્ર ભગવાન,
જય ભારત સાથે જણાવવાનું કે હું તારા ભવ્ય મંદિરથી થોડે દૂર આવેલી એક સરકારી શાળાના સાતમા ધોરણમાં ભણું છું.
મારા પિતાજી દાણાપીઠમાં મજૂરી કરે છે અને મારી મા રોજ બીજાના ઘરકામ કરવા માટે જાય છે.
હું શું કામ ભણું છું? એની તો મારા મા-બાપને ખબર નથી પણ, હા કદાચ શિષ્યવૃતીના પૈસા અને મફત જમવાનું નિશાળમાં મળે છે,
એટલે મારા મા-બાપ મને રોજ ૫ કલ્લાક નિશાળે તગડી દે છે.
ભગવાન બે-ચાર સવાલો પૂછવા માટે મેં આજ તને પત્ર લખ્યો છે કારણ મારા સાહેબે કીધું’તું કે તું સાચી વાત જરૂર સાંભળે છે.
પ્રશ્ન ૧.
હું રોજ સાંજે ભગવાન તારા મંદિરે આવું છું અને નિયમિત સવારે નિશાળે જાઉં છું,
પણ હેં ભગવાન તારી મૂર્તિની ઉપર આરસપહાણનું A.C. મંદિર છે અને નિશાળની ઉપર છાપરું એ કેમ નથી? દર ચોમાસે પાણી ટપકે છે આવું શું કામ?
પ્રશ્ન ૨.
તને ૩૨ ભાતના પકવાન પીરસાય છે અને તું તો ખાતો ય નથી અને હું દરરોજ બપોરે મધ્યાહન ભોજનના એક
મુઠ્ઠી ભાતથી ભુખ્યો ઘરે જાઉં છું આવું કેમ?
પ્રશ્ન ૩.
મારી નાનીબેનના ફાટેલા ફ્રોક ઉપર તો કોઈ થીગડું ય મારવા આવતું નથી અને, તારા પચરંગી નવા નવા વાઘા સાચું કહું તો હું દરરોજ તને નહી તારા કપડાં જોવા માટે મંદિરે આવું છું?
પ્રશ્ન ૪.
તારા પ્રસંગે લાખો માણસો મંદિરમાં સમાતા નથી અને પંદરમી ઓગસ્ટે જે ૨૬મી જાન્યુઆરીએ જ્યારે, હું બે મહિનાથી મહેનત કરેલું દેશભક્તિ ગીત રજુ કરું ને ત્યારે મારી સામે હોય છે માત્ર મારા શિક્ષકો અને મારા બાળમિત્રો. હેં ભગવાન તારા મંદિરે જે સમાતા નથી ઈ બધાય મારા મંદિરે કેમ ડોકાતા નથી?
પ્રશ્ન ૫.
તને ખોટું લાગે તો ભલે લાગે પણ મારા ગામમાં એક ફાઈવસ્ટાર હોટેલ જેવું મંદિર છે ભગવાન અને એક મંદિર જેવી પ્રાથમિક શાળા છે.
પ્રભુ મેં સાંભળ્યું છે કે તું તો અમારી બનાવેલી મૂર્તિ છો તોય આવી જલજલાટ છો તો અમે તો તારી બનાવેલી મૂર્તિઓ છિયે,
અમારા ચહેરા ઉપર નૂર કેમ નથી?
શક્ય હોય તો ભગવાન આ પાંચેયસવાલોના જવાબ આપજે મને વાર્ષિક પરીક્ષામાં કામ લાગે,
ભગવાન મારે ખૂબ આગળ ભણવું છે મારે ડૉક્ટર થાવું છે પણ મારા મા-બાપ પાસે નિશાળની ફીના કે ટ્યુશનના પૈસા નથી,
તું ખાલી જો તારા એક દિવસની દાનપેટી મને મોકલને ભગવાન તો આખીય જીંદગી હું ભણી શકું.
વિચારીને કે’જે દોસ્ત વિચારી લેજે કારણ કે હુંય જાણું છું કે તારે ઘણાયને પૂછવું પડે એમ છે.
પરંતુ સાતમા ધોરણની વાર્ષિક પરીક્ષા પહેલા તું જો મારામાં ધ્યાન નહી દે મને પૈસા નહી મોકલે તો,
મારા બાપુ મને સામે ચાવાળાની હોટલે રોજના પાંચ રૂપિયાના ભવ્ય પગારથી નોકરીએ રાખી દેશે.
પછી આખીય જીંદગી હું તારા શ્રીમંત ભક્તોને ચા પાઈશ ભગવાન પણ તારી હારે કિટ્ટા કરી નાખીશ.
જલદી કરજે પ્રભુ સમય બહુ ઓછો છે તારી પાસે અને મારી પાસે પણ .
– (Facebook best primary teachers group -“Gujarat General Knowladge” માંથી સાભાર.)